દેશમાં વધતા ક્રૂડ ઓઇલના ભાવ અને રૂપિયાના અવમૂલ્યન વચ્ચે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પર વધતા આર્થિક દબાણને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકાર દ્વારા પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટી ₹13 પ્રતિ લિટરથી ઘટાડીને ₹3 પ્રતિ લિટર કરવામાં આવી છે, જ્યારે ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી ₹10 પ્રતિ લિટરથી શૂન્ય કરવામાં આવી છે.
સરકારના આ પગલાથી ઓઇલ માર્કેટિંગ કંપનીઓને મોટી રાહત મળશે, કારણ કે છેલ્લા સમયગાળામાં તેઓ માર્કેટિંગ સાઇડ પર નુકસાન ભોગવી રહી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને રૂપિયા નબળો પડતા કંપનીઓની પરિસ્થિતિ મુશ્કેલ બની હતી.
જોકે, મહત્વની બાબત એ છે કે આ ઘટાડા છતાં પેટ્રોલ અને ડીઝલના રિટેલ ભાવોમાં જે પંપ પર સામન્ય લોકો ને મળે છે તેમાં હાલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સરકારના આ નિર્ણયને કંપનીઓના લિક્વિડિટી પરિસ્થિતિ સુધારવા માટેનું પગલું માનવામાં આવી રહ્યું છે.
આગામી સમયમાં આ નિર્ણયનો ગ્રાહકો પર કેટલો લાભ પહોંચે છે તે જોવાનું રહેશે, પરંતુ તાત્કાલિક રીતે આ પગલું ઓઇલ કંપનીઓ માટે સહાયરૂપ સાબિત થશે.









