વાંકાનેર વિસ્તારના વિવિધ વિકાસલક્ષી પ્રશ્નો અને જનહિતના મુદ્દાઓને લઈને રાજ્યસભાના સાંસદ કેસરિદેવસિંહજી ઝાલા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ પ્રસંગે તેમણે વાંકાનેર શહેર અને આસપાસના વિસ્તારોના મહત્વના પ્રશ્નોને સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા હોવાની માહિતી આપી હતી.

સાંસદશ્રીએ જણાવ્યું હતું કે વિવેકાનંદ ચોકથી દાણાપીઠ સુધીના મુખ્ય માર્ગનું કામ ઝડપથી શરૂ થાય તે માટે સંબંધિત વિભાગ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. ઉપરાંત લાંબા સમયથી ચાલી રહેલા રેલવે ફાટકના પ્રશ્નના કાયમી ઉકેલ માટે પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. મચ્છુ નદી ઉપર નિર્માણાધીન પુલનું કામ ઝડપથી પૂર્ણ થાય તેમજ શહેરના ટ્રાફિક દબાણને ઘટાડવા માટે બાયપાસ રોડનું નિર્માણ કરવામાં આવે તેવી માંગ પણ સરકાર સમક્ષ કરવામાં આવી છે.

આ ઉપરાંત વાંકાનેરમાં સર્કિટ હાઉસ અને આધુનિક પબ્લિક લાઇબ્રેરીની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે રજૂઆત કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. વાંકાનેરના નાના રેલવે સ્ટેશન પર વધુ લોકલ તથા ફાસ્ટ ટ્રેનોના સ્ટોપેજ શરૂ કરવા માટે પણ રેલવે મંત્રાલય સમક્ષ માંગણી કરવામાં આવી છે.

સાંસદશ્રીએ જણાવ્યું હતું કે વાંકાનેરના સર્વાંગી વિકાસ અને નાગરિક સુવિધાઓના વિસ્તરણ માટે તેઓ સતત પ્રયત્નશીલ છે અને વિવિધ વિભાગો સાથે સંકલન કરી પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે કાર્ય કરી રહ્યા છે. પત્રકાર પરિષદમાં સ્થાનિક આગેવાનો, સામાજિક કાર્યકરો અને પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.












