શહેરના જીનપરા જકાતનાકા વિસ્તારમાં 79 વર્ષીય વૃદ્ધ પાસેથી ત્રણ અજાણ્યા શખ્સોએ લૂંટ ચલાવ્યાનો બનાવ સામે આવ્યો છે. બનાવ અંગે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.ની કલમ 309(4), 54 અને 3(5) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ફરિયાદી હરીલાલ નાનજીભાઈ વિડજા (ઉ.વ. 79), રહે. વેલકમ પ્રાઈડ, રવાપર રોડ, મોરબી, તા. 20 જુલાઈના રોજ વડોદરાથી વાંકાનેર આવ્યા બાદ જીનપરા જકાતનાકાથી બસ સ્ટેશન તરફ પગપાળા જઈ રહ્યા હતા. સાંજે આશરે 4:15 વાગ્યે વાંઢા લિંબડા ચોક અને લક્ષ્મીપરા ચોક વચ્ચે એક બાઈક પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ તેમનો રસ્તો રોકી હાથમાં રહેલો થેલો માંગ્યો હતો.

ફરિયાદીએ થેલો આપવાની ના પાડતા ત્રણેય શખ્સોએ તેમને ઘેરી લઈ ઝપાઝપી કરી ધક્કો મારી જમીન પર પાડી દીધા હતા અને થેલો છીનવી પુલ દરવાજા તરફ બાઈક પર ફરાર થઈ ગયા હતા. આરોપીઓએ પોતાના ચહેરા રૂમાલથી ઢાંક્યા હતા અને બાઈક પર પાછળ નંબર પ્લેટ પણ ન હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

લૂંટાયેલા થેલામાં કપડાં, આશરે રૂ. 3,000 રોકડા, એસ.ટી. ઓળખકાર્ડ તેમજ અન્ય જરૂરી દસ્તાવેજો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી અજાણ્યા ત્રણ આરોપીઓને શોધવા માટે વધુ તપાસ હાથ ધરી છે.










