વાંકાનેર તાલુકાના અમરસર ગામે ઘર નજીકના રસ્તા પર થયેલી બોલાચાલી મારામારીમાં પરિણમતા એક મહિલા અને તેમના પતિને ઇજા પહોંચ્યાની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે બે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ફરિયાદ મુજબ અમરસર ગામે રહેતા રંજનબેન જશીભાઈ જખાનીયા પોતાના પુત્ર સાથે ખાવાનું લઈને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે કેનાલ પાસે તેમના પડોશી રૂખડભાઈ મગનભાઈ માણસુરીયા અને તેમની પત્નિ તેજલબેન મળ્યા હતા. દરમિયાન રૂખડભાઈએ પોતાની પત્નિ સાથે ઝઘડો કરવા બાબતે તકરાર શરૂ કરી ગાળો આપવાનું શરૂ કર્યું હતું.

ફરિયાદી દ્વારા વિરોધ કરતાં રૂખડભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને પોતાના હાથમાં રહેલા લોખંડના પાઇપથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. બચાવ માટે હાથ આડો કરતાં રંજનબેનના જમણા હાથમાં ઇજા પહોંચી હતી. ત્યારબાદ તેજલબેને પણ ઢીકાપાટુનો માર માર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

બૂમાબૂમ સાંભળી રંજનબેનના પતિ જશીભાઈ સ્થળે પહોંચતા રૂખડભાઈએ તેમના માથાના ભાગે લોખંડના પાઇપનો ઘા માર્યો હતો, જેના કારણે તેમને ઇજા પહોંચી હતી. બાદમાં બંને આરોપીઓએ જાનથી મારી નાખવાની તથા ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી સ્થળ પરથી નાસી છૂટ્યા હતા.

ઇજાગ્રસ્તોને 108 મારફતે વાંકાનેર સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ મોરબી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે બી.એન.એસ.ની કલમ 115(2), 351(2), 352, 54 તેમજ જી.પી. એક્ટ કલમ 135 હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.










