મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલના માર્ગદર્શન અને નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડાના દિશાનિર્દેશ હેઠળ વાંકાનેર સીટી પોલીસ દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત સરાહનીય કામગીરી કરવામાં આવી છે.

પ્રો. પોલીસ ઇન્સ્પેક્ટર પી.આર. સોલંકીના સુપરવિઝન હેઠળ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના સ્ટાફે CEIR પોર્ટલનો અસરકારક ઉપયોગ કરીને કુલ 19 જેટલા ખોવાયેલા મોબાઇલ ફોન આશરે રૂ. 3,51,500, ભુલથી બદલાય ગયેલ રૂ. 30,000 કિંમતનું મોટરસાયકલ તેમજ સાયબર ફ્રોડમાં ગયેલી રૂ. 2,59,390ની રોકડ રકમ શોધી કાઢી અરજદારોને પરત સોંપી હતી.

આમ કુલ અંદાજે રૂ. 6,40,890નો મુદ્દામાલ અરજદારોને પરત અપાતા પોલીસ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. “સુરક્ષા સાથે સેવા”ના ધ્યેયને સાકાર કરતી વાંકાનેર સીટી પોલીસે “પોલીસ પ્રજાની મિત્ર છે” તે સૂત્રને વધુ એક વખત સાર્થક કર્યું છે.

આ કામગીરીમાં પ્રો. પી.આઈ. પી.આર. સોલંકી, એ.એસ.આઈ. ધર્મેન્દ્રસિંહ જાડેજા, પો.હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ પરમાર, વિરેન્દ્રસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા, પો.કોન્સ્ટેબલ રાણીંગભાઈ ખવડ, દર્શીતભાઈ વ્યાસ, હિતેન્દ્રસિંહ ઝાલા, જગદીશભાઈ રંગપરા, જનકસિંહ પરમાર તથા જયેન્દ્રસિંહ પઢીયાર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.


















