વાંકાનેર : ગત તા. 7/5/2026 ના રોજ વાંકાનેરથી અમદાવાદ જતી એસ.ટી. બસમાં મુસાફરી કરનાર આશિયાનાબાનુ નૂરમહંમદભાઈ મેરનો લેડીઝ પર્સ બસમાં ભૂલાઈ ગયો હતો. બસમાં ફરજ પર કંડક્ટર તરીકે પ્રકાશભાઈ મકવાણા અને ડ્રાઈવર તરીકે ભીખુભાઈ કુંભરવાડીયા ફરજ બજાવી રહ્યા હતા..

બસ અમદાવાદ પહોંચ્યા બાદ કંડક્ટર પ્રકાશભાઈ મકવાણાએ બસ ચેક કરતા એક લેડીઝ પર્સ મળી આવ્યો હતો. પર્સમાં સોનાની વીંટી, એક જોડી ચાંદીના સાંકરા, બંગડી, પાટલા, મેકઅપનો સામાન સહિત અંદાજે રૂ. 45 હજારથી વધુ કિંમતની વસ્તુઓ મળી આવી હતી.

ત્યારબાદ સમગ્ર બાબતની ખરાઈ કરી વાંકાનેર ખાતે ફરજ પરના ટી.સી. જયેશભાઈ પંડયાએ મુસાફરનો સંપર્ક સાધી રૂબરૂ બોલાવ્યા હતા. આજ રોજ કંડક્ટર પ્રકાશભાઈ મકવાણા, રાજકોટ એસ.ટી. ક્રેડિટ સોસાયટીના ડિરેક્ટર જે. જે. જાડેજા તથા ટી.આઈ. રહીમભાઈ પરમારની હાજરીમાં તમામ વસ્તુઓની ખરાઈ કરી મુસાફરને પરત સોંપવામાં આવી હતી.
એસ.ટી. નિગમ તથા વાંકાનેર એસ.ટી. પરિવારની પ્રતિષ્ઠામાં વધારો કરવા બદલ રાજકોટ એસ.ટી. કર્મચારી મંડળના પ્રમુખ જયુભા ડી. જાડેજા તથા વાંકાનેર ડેપો મેનેજર એ. એન. પઢારીયાએ કંડક્ટર પ્રકાશભાઈ મકવાણાને અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો. મુસાફરે પણ એસ.ટી. નિગમ અને વાંકાનેર એસ.ટી. પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.










