વાંકાનેર તાલુકામાં 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે સમાજ અને જનસેવાના ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરનાર સમાજસેવક ઈલ્મુદીન દેકાવાડીયા અને જયેન્દ્રસિંહ ઝાલાનું તાલુકા વહીવટી તંત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
સ્વાતંત્ર્ય પર્વના પાવન અવસરે સેવાકીય પ્રવૃત્તિઓમાં તેમના યોગદાન બદલ બંને સમાજસેવકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. સમાજના વિવિધ વર્ગોના લોકોના પ્રશ્નો, જરૂરિયાતો તથા હિત માટે કરવામાં આવતી તેમની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી.

સન્માન પ્રસંગે બંને સમાજસેવકોએ વાંકાનેર તાલુકા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. મળેલું સન્માન વધુ જવાબદારી અને ઉત્સાહ સાથે સમાજ તથા જનસેવાના કાર્યોમાં જોડાયેલા રહેવાની પ્રેરણા આપે છે તેમ તેમણે જણાવ્યું હતું.

ભવિષ્યમાં પણ લોકોના હિત અને સમાજના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક સેવાકીય કામગીરી ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા બંનેએ વ્યક્ત કરી હતી. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન સેવાભાવી વ્યક્તિઓનું સન્માન થતાં ઉપસ્થિતોમાં આનંદની લાગણી જોવા મળી હતી.











