વાંકાનેર શહેરના જિનપરા ગૌશાળા રોડ વિસ્તારમાં રહેતી એક નિરાધાર અને માનસિક અસ્થિર મહિલાના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ભિક્ષાવૃત્તિ કરીને એકત્રિત કરેલી રૂ.50 હજારની રોકડ ચોરી કરી જતા ચકચાર મચી છે.

મળતી માહિતી મુજબ જિનપરા ગૌશાળા રોડ પર રહેતા રમેશભાઈ બચુભાઈ મકવાણાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ ગત તા.12 ઓગસ્ટના રોજ અજાણ્યા તસ્કરોએ તેમના પાડોશમાં રહેતા નિર્મળાબેન મગનભાઈ ગોહેલના મકાનના તાળા તેમજ બારસાખ તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ભિક્ષાવૃત્તિ કરીને નિર્મળાબેને એકત્રિત કરેલા રૂ.50 હજારની રોકડ ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

નિર્મળાબેનના પતિના અવસાન બાદ તેમની માનસિક સ્થિતિ બગડી ગઈ હોવાનું અને તેમને સંતાન પણ ન હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. તેઓ નિયમિત ઘરે આવતા ન હોવાથી પાડોશી રમેશભાઈ માનવતાના ધોરણે તેમની દેખરેખ રાખતા હતા.

દરમિયાન નિર્મળાબેન છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઘરે આવ્યા ન હોવાનું ધ્યાનમાં આવતા તપાસ કરતાં મકાનના તાળા અને બારસાખ તૂટેલી જોવા મળી હતી. ઘરમાં તપાસ કરતાં ભિક્ષાવૃત્તિથી એકત્રિત કરેલી રૂ.50 હજારની રોકડ ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું.
આ અંગે રમેશભાઈની ફરિયાદના આધારે વાંકાનેર સીટી પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.










